બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારોમાં બ્રોડ બેઝ તેજી સાથે બેન્ચમાર્ક્સ નવી ટોચે બંધ આપવામાં સફળ
બેંક નિફ્ટીએ સતત ત્રીજા દિવસે નવી ટોચ દર્શાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.7 ટકા ગગડી 13.34ના સ્તરે બંધ
મેટલ, રિઅલ્ટી, એનર્જીમાં મજબૂતી
ઓટો, પીએસયૂ બેંક, ફાર્મામાં નરમાઈ
રાષ્ટ્રીય કેમિકલ, ફર્ટી એન્ડ કેમિકલ, ચંબલ ફર્ટિ, દિપક ફર્ટી નવી ટોચે
ઈન્ડિયન હોટેલ્સ, મહિન્દ્રા હોલિડેઝ, ફેડરલ બેંક, ભારત ફોર્જ પણ નવી સપાટીએ
ભારતીય શેરબજારમાં તેજીનો ચરુ ઉકળી રહ્યો છે. ગુરુવારે બંને બેન્ચમાર્ક્સે તેમની નવી ટોચ પર બંધ દર્શાવ્યું હતું. જેમાં સેન્સેક્સ 141 પોઈન્ટ્સ મજબૂતી સાથે 77479ની સપાટીએ જ્યારે નિફ્ટી 51 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 23567ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ખરીદી પરત ફરતાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3981 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2282 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1571 કાઉન્ટર્સ નેગેટીવ જોવા મળ્યાં હતાં. 284 કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 15 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.7 ટકા ગગડી 13.34ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે એશિયન બજારોમાં ચીન અને હોંગ કોંગ નરમાઈ દર્શાવતાં હતાં. જોકે, ભારતીય બજારમાં મજબૂતી જોવા મળી હતી અને આગેકૂચ જાળવાય હતી. બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-અપ ઓપનીંગ પછી ક્ષણવાર માટે નેગેટીવ બની ગ્રીન ઝોનમાં પરત ફર્યો હતો અને 23560ના અવરોધને પાર કરી 23567 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. હવે તેનું ટાર્ગેટ 23900નું રહેશે. 23200ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મહત્વના ઘટકોમાં હિંદાલ્કો, ગ્રાસિમ, બીપીસીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ્સ, તાતા સ્ટીલ, કોટક મહિન્દ્રા, કોલ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એચયૂએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, એચડીએફસી બેંક, એલટીઆઈમાઈન્ડટ્રી, ડિવિઝ લેબ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, હીરો મોટોકોર્પ, સન ફાર્મા, એમએન્ડએમ, એનટીપીસી, વિપ્રો, એસબીઆઈ, એચડીએફસી લાઈફ, સિપ્લા, અલ્ટ્રાટેકસિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ભારતી એરટેલમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવ જોઈએ તો મેટલ, રિઅલ્ટી, પ્રાઈવેટ બેંકિંગ અને એનર્જીમાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે ઓટો, પીએસયૂ બેંક, ફાર્મા નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલ 1.8 ટકા ઉછળી બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં વેદાંત, એનએમડીસી, નાલ્કો, રત્નમણિ મેટલ, મોઈલ, સેઈલ, હિંદુસ્તાન ઝીંક, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલનો સમાવેશ થતો હતો. નિફ્ટી રિઅલ્ટી પણ વધુ 2 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ડીએલએફ, સોભા, ઓબેરોય રિઅલ્ટીમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા અને નિફ્ટી ઓટો અડધો ટકો ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં.
સરકાર તરફથી વિવિધ કૃષિ પાકોની એમએસપીમાં નોંધપાત્ર વૃદ્ધિ કરવામાં આવતાં ફર્ટિલાઈઝર્સ શેર્સમાં ભારે તેજી જોવા મળી હતી. જેમાં રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર્સ, ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ, એનએફએલ, ચંબલ ફર્ટિલાઈઝર્સ, જીએસએફસી, દિપક ફર્ટિલાઈઝર્સ જેવા ફર્ટિલાઈઝર્સ શેર્સ 10-20 ટકાની વૃદ્ધિ દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ચંબલ ફર્ટિલાઈઝર્સ 20 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, જીએનએફસી, સિટી યુનિયન બેંક, ભારત ફોર્જ, દિપક નાઈટ્રેટ, વેદાંતા, બંધન બેંક, કોરોમંડલ ઈન્ટર., અતુલ, તાતા કેમિકલ્સ, એનએમડીસી, એલએન્ડટી ફાઈનાન્સ, મહાનગર ગેસમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, પાવર ફાઈનાન્સ, હીરો મોટોકોર્પ, વોડાફોન, ગોદરેજ કન્ઝ્યૂમર, સન ફાર્મા, એમએન્ડએમ, બોશ, આરઈસી, કોફોર્જ, કોલગેટ, એનટીપીસી, ભેલ, આદિત્ય બિરલા ફેશન, અંબુજા સિમેન્ટ્સમાં વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં સીઈ ઈન્ફોસિસ્ટમ, રાષ્ટ્રીય કેમિકલ, ફર્ટિ એન્ડ કેમિ., ચંબલ ફર્ટિ., દિપક ફર્ટિ., મહિન્દ્રા હોલિડેઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ, જેરે પેપર, એલ્ગી ઈક્પિવમેન્ટ્સ, ભારત ફોર્જ, હિમાદ્રિ સ્પેશ્યાલિટી, દિપક નાઈટ્રેટ, એલએન્ડટી ફાઈનાન્સનો સમાવેશ થતો હતો.
ગ્રોથ મહત્વનો છે પરંતુ અસ્વીકાર્ય જોખમોના ખર્ચે નહિઃ RBI ગવર્નર
રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે ગુરુવારે જણાવ્યું હતું કે નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઝ(એનબીએફસી)એ અસ્વીકાર્ય એવા જોખમો લઈને વૃદ્ધિનો માર્ગ અપનાવવો જોઈએ નહિ તેમજ તેમની પાસે જોખમો સામે કામ પાર પાડવા માટે મજબૂત માળખું તૈયાર હોવું જોઈએ.
મુંબઈ ખાતે બોલતાં આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે બિઝનેસ મોડેલ્સ નફાકારક્તા અને ગ્રોથને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યાં હશે પરંતુ તે ક્યારેક વણદેખાતી મુશ્કેલીઓ સામે લાચાર હોય છે. આમ, રેગ્યુલેટેડ હોય તેવી તેમજ નોન-રેગ્યુલેટેડ કંપનીઓએ આવા જોખમો પર ચાંપતી નજર નાખવાની રહે છે. તેમણે ઊંચા ખર્ચના ભોગે અસ્વીકાર્ય જોખમો ઉઠાવવા નહિ જોઈએ તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
દાસે નોંધ્યું હતું કે જ્યારે કોઈ નાણાકિય કંપની ગંભીર સમસ્યાનો સામનો કરતી જોવા મળે છે ત્યારે એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર કક્ષાના આરબીઆઈ ઓફિસર કંપનીના સંપૂર્ણ બોર્ડની સાથે વાતચીત કરે છે અને તેમની સાથે રેગ્યુલેટરની ચિંતા વ્યક્ત કરે છે. જ્યારે ઓડિટરના રિપોર્ટ અને આરબીઆઈ સુપરવાઈઝરીના તારણોમાં ભિન્નતા જોવા મળે છે ત્યારે આરબીઆઈ સીધી ચર્ચા-વિચારણા માટે ઓડિટર્સને બોલાવે છે.
આરબીઆઈ તરફથી અનસિક્યોર્ડ લોન પર રિસ્ક વેઈટેજ વધારવાના નવેમ્બર-2023ના નિર્ણયનો ઉલ્લેખ કરી શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે આના કારણે આ સેગમેન્ટ્સના ક્રેડિટ ગ્રોથમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમના મતે અમારા સમયસરના પગલાને કારણે અનસિક્યોર્ડ લોન્સનો ગ્રોથ વાર્ષિક 30 ટકા પરથી ઘટી હવે 23 ટકા જોવા મળે છે. આ જ રીતે એનબીએફસી માટે આ ગ્રોથ 29-30 ટકા પરથી ઘટી 18 ટકા પર આવ્યો છે.
રિટેલને નુકસાન ઘટાડવા માટે અલ્ગો બેઝ્ડ F&O ટ્રેડ્સ પર STT વધારવાની રજૂઆત
આગામી કેન્દ્રિય બજેટ અગાઉ નાણાપ્રધાનને કરેલા એક સૂચનમાં એસેટ મેનેજર્સે અલ્ગો આધારિત ફ્રિકવન્ટ એફએન્ડઓ ટ્રેડ્સ પર સિક્યૂરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ(એસટીટી)માં વૃદ્ધિ માટે રજૂઆત કરી છે. તેમની આ રજૂઆત પાછળનું કારણ રિટેલ વર્ગને ડેરિવેટીવ્ઝ સેગમેન્ટમાં થતું નુકસાન ઓછું કરવાનું છે.
કેપિટમ માર્કેટ પાર્ટિસિપન્ટ્સે રિટેલ રોકાણકારોને ભારે એફએન્ડઓ ટ્રેડિંગમાં થતાં ભારે નુકસાનથી બચાવવા માટે એફએફટી(હાઈ ફ્રિકવન્સી ટ્રેડિંગ) હાથ ધરતાં અલ્ગો-બેઝ્ડ હેજ ફંડ્સ પર સિક્યૂરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વૃદ્ધિ માટે જણાવ્યું છે. આ ભલામણ એસેટ મેનેજમેન્ટ કંપનીના ઉચ્ચ અધિકારીઓ તરફથી 20 જૂને નાણાપ્રધાન સાથે યોજાયેલી બેઠકમાં કરવામાં આવી હતી.
તેમણે રૂ. 1000 કરોડથી વધુનું એફએન્ડઓ ટર્નઓવર ધરાવતાં રોકાણકારો પર ઊંચા એસટીટી માટેનું સૂચન કર્યું હતું. આમ કરવાથી રિટેલ ટ્રેડર્સને વધુ પડતાં એફએન્ડઓ સ્પેક્યૂલેશન અને નુકસાનથી રક્ષણ પૂરું પાડી શકાશે એમ તેમનું કહેવું હતું.
નાણા વર્ષ 2018-19થી 2021-22 સુધીમાં ભારતીય શેરબજારમાં એફએન્ડઓ ટ્રેડિંગમાં પાંચ ગણી વૃદ્ધિ જોવા મળી છે. એનએસઈ અને બીએસઈના ફ્યુચર્સ ઈન્ડસ્ટ્રી એસોસિએશનનો ડેટા જણાવે છે કે ભારતીય શેરબજારો હાલમાં વૈશ્વિક સ્તરે ડેરિવેટીવ્સ ટ્રેડમાં ટોચના બે પ્લેટફોર્મ્સ છે. આ બંને એક્સચેન્જિસ મળીને વૈશ્વિક વોલ્યુમ્સનું 85 ટકા વોલ્યુમ ધરાવે છે.
RBIએ 2024માં ગોલ્ડ રિઝ્વ્સમાં કરેલી એક ટકા વૃદ્ધિ
સેન્ટ્રલ બેંક હજુ પણ વધુ ગોલ્ડ ખરીદે તેવી સંભાવના
આરબીઆઈ તેની ફોરેન કરન્સી એસેટ્સનું ડાયવર્સિફિકેશન કરી રહી છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કેલેન્ડર 2024માં તેના ગોલ્ડ રિઝર્વ્સમાં એક ટકા આસપાસ વૃદ્ધિ કરી હોવાનું ડેટા સૂચવે છે. 7 જૂનના રોજ આરબીઆઈ પાસે 56.982 અબજ ડોલરનું ગોલ્ડ રિઝર્વ્સ હતું. જે 29 ડિસેમ્બર, 2023ના રોજ જોવા મળતાં 48.328 અબજ ડોલરની સરખામણીમાં 7.76 ટકા ઊંચું છે.
નિષ્ણાતોના મતે વૈશ્વિક સ્તરે જીઓ-પોલિટીકલ તણાવો પાછળ અનિશ્ચિતતા જોતાં આરબીઆઈ તેની ફોરેન કરન્સી એસેટ્સનું ડાયવર્સિફિકેશન કરી રહી છે. હાલમાં આરબીઆઈની કુલ વિદેશી હૂંડિયામણોમાં ગોલ્ડનો હિસ્સો 8.69 ટકા પર જોવા મળી રહ્યો છે.
અગાઉ ગોલ્ડ રિઝર્વ્સમાં આ સ્તરે વૃદ્ધિ 1991માં જોવા મળી હતી. માર્ચ, 2024ની આખરમાં આરબીઆઈ પાસે 822.1 ટન સોનું પડ્યું હતું. જેમાંથી 413.8 ટન સોનું વિદેશમાં સંગ્રહિત હતું. વૈશ્વિક સેન્ટ્રલ બેંકર્સે છેલ્લાં કેટલાંક વર્ષોમાં નોંધપાત્ર પ્રમાણમાં ગોલ્ડની ખરીદી કરી છે. નાણા વર્ષ 2022-23માં તેમણે કુલ 27.5 ટન ગોલ્ડ ખરીદ્યું હતું. જેમાં પીપલ્સ બેંક ઓફ ચાઈના ટોચ પર હતી.
Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…
Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…
Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…
Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…
LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…
Did you know that starting your retirement planning in India before your 40s can make…
This website uses cookies.