Market Opening 19 April 2021

માર્કેટ ઓપનીંગ

ડાઉ જોન્સમાં નવી ટોચ છતાં ભારતીય બજાર ગેપ-ડાઉન ખૂલશે

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ શુક્રવારે વધુ 165 પોઈન્ટ્સ સુધરી 34201 પર બંધ આવ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં મજબૂતી જોવા મળી રહી છે. ખાસ કરીને હોંગકોંગ અને ચીનના બજારો એક ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે. જાપાન, કોરિયા અને તાઈવાન પણ પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં છે. જોકે સિંગાપુર નિફ્ટી 177 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવે છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર સતત ત્રીજા સોમવારે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીને 13350નો નજીકનો સપોર્ટ છે. જે તૂટતાં બેન્ચમાર્કને 13200નો સપોર્ટ છે. આમ નિફ્ટી માટે આગામી ટ્રેડિંગ દિવસો મહત્વના બની રહેશે. કોવિડ કેસિસની વધતી સંખ્યા જેવા કારણો બજાર ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. તેમજ આંકડાશાસ્ત્રીઓના મતે વર્તમાન કોવિડ રાઉન્ડ આગામી સપ્તાહમાં પીક બનાવી ઝડપી ઘટાડો દર્શાવી શકે છે.

સરકારની પીએસયૂ બેંક્સને કંપનીઝ એક્ટ હેઠળ લાવવા વિચારણા

દેશમાં જાહેર ક્ષેત્રની બેંક્સના ખાનગીકરણને શક્ય બનાવવા માટે કેન્દ્ર સરકાર પબ્લિક સેક્ટર બેંક્સને કંપનીઝ એક્ટ હેઠળ લાવવા માટે વિચારણા કરી રહી છે. આ માટે નાણાવિભાગ કાયદાકીય સુધારાઓ લાવવા માટે મંત્રણા કરી રહી છે. હાલમાં તે બે પીએસયૂ બેંક્સને બેંકિંગ કંપનીઝ(એક્વિઝીશન એન્ડ ટ્રાન્સફર ઓફ અન્ડરટેકિંગ્સ) એક્ટ 1970 તથા બેંકિંગ કંપનીઝ(એક્વિઝીશન એન્ડ ટ્રાન્સફર ઓફ અન્ડરટેકિંગ્સ) 1980ની બહાર લઈ જવા વિચારી રહી છે. આમ થયા બાદ આવી બેંક્સ આરબીઆઈના બેંકિંગ રેગ્યુલેશન એક્ટ અને કંપનીઝ એક્ટ હેઠળ લાવી શકાશે.

એર ઈન્ડિયા બીડ વિજેતાએ રૂ. 15 હજાર કરોડની ગેરંટી રજૂ કરવી પડશે

એર ઈન્ડિયાના વેચાણ માટેની પ્રક્રિયા વેગ પકડી રહી છે અને સંભવિત બીડર્સ માટે ડેટા રૂમ ખોલી દેવામાં આવ્યો છે ત્યારે બે બાબતો પાછળથી ધ્યાનમાં આવી છે, જે નેશનલ કેરિયરના વેચાણમાં અવરોધો ઊભા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ જે બીડર એર ઈન્ડિયા માટે બીડનો વિજેતા બને તેણે સરકારે 12 વર્ષ માટે આપેલી બે અબજ ડોલર(લગભગ રૂ. 15000 કરોડ)ની લીઝ પેમેન્ટની ગેરંટી રિપ્લેસ કરવાની રહેશે. એટલેકે આ જવાબદારી બીડ વિજેતાએ સ્વીકારવાની રહેશે. સરકારે 21 બી-787 માટે આ ગેરંટી આપી છે. આશ્ચર્યની વાત એ છે કે આ લીઝ રેન્ટલ રેટ્સ હોવા જોઈએ તેના કરતાં બમણા છે અને પેમેન્ટ્સ ભારત સરકાર દ્વારા ગેરંટેડ અને સિક્યોર્ડ છે.

કોવિડ લોકડાઉનની ફ્યુઅલ વેચાણ પર પ્રતિકૂળ અસર

છેલ્લા પખવાડિયામાં દેશમાં કોવિડ કેસિસમાં ઝડપી વૃદ્ધિ પાછળ અમલમાં આવેલા રાત્રિ કર્ફ્યૂ સહિતના લોકડાઉનને પગલે ફ્યુઅલના વેચાણ પર પ્રતિકૂળ અસર પડી છે. દેશના ત્રણ અગ્રણી રિટેલર્સ પાસેથી મળી રહેલા પ્રાથમિક ડેટા મુજબ 1થી 15 એપ્રલ સુધીના સમયગાળા દરમિયાન ફ્યુઅલના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગેસોલીનના વેચાણમાં પણ 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હોવાનું તેઓ જણાવે છે. રોગચાળાની સ્થિતિમાં લોકો પોતાના વાહનનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યાં હોવા છતાં ગેસોલીનના વેચાણમાં ઘટાડો નોંધાયો છે

મહત્વની હેડલાઈન્સ

· સામાન્ય ચોમાસા પાછળ કૃષિ ક્ષેત્રે મજબૂત વૃદ્ધિની સંભાવના

· યિલ્ડ્સ ક્વોન્ટેટિટિવ ઈઝીંગ અગાઉના સ્તરે જતાં રહેતાં ભારતે બેન્ચમાર્ક બોન્ડ સેલનું વેચાણ રદ કર્યું.

· 9 એપ્રિલે પૂરા થતાં સપ્તાહ દરમિયાન દેશનું ફોરેક્સ રિઝર્વ્સ 4.3 અબજ ડોલર વધી 581.2 અબજ ડોલર પર જોવા મળ્યું.

· વૈશ્વિક ફંડ્સે શુક્રવારે ભારતીય બજારમાંથી રૂ. 438 કરોડની કરેલી ખરીદી. સ્થાનિક ફંડ્સે પણ રૂ. 658 કરોડની કરેલી ખરીદી.

· એપ્રિલના પ્રથમ પખવાડિયામાં ભારતના વીજળીના વેચાણમાં 45 ટકાની વૃદ્ધિ નોંધાઈ.

· એનબીએફસીએ એમએસએમઈ માટેની રિસ્ટ્રક્ચરિંગ સ્કીમને માર્ચ 2022 સુધી લંબાવવા માટે માગણી કરી છે.

· જેએસપીએલના એમડીના જણાવ્યા મુજબ સ્ટીલના ભાવોને ઠંડા પડતાં બે વર્ષનો સમય લાગી શકે છે.

· સિટિગ્રૂપ ભારતીય ક્રેડિટ કાર્ડ, વેલ્થ યુનિટ્સ વેચવા માટેની મંત્રણા કરી રહ્યું છે.

· અદાણી ગ્રીને જણાવ્યું છે કે તેણે 150 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ માટેની બીડ મેળવી છે. જે 2022-23ના ત્રીજા ક્વાર્ટર સુધી કાર્યરત બનશે.

· ભારતી એરટેલે જણાવ્યું છે કે ઘાના સરકાર એરટેલ ટીગો જેવીની માલિકી હાથવગી કરશે. કંપનીએ ઈન્વેસ્ટમેન્ટને અગાઉથી જ રાઈટ ઓફ કરવા સાથે પ્રોવિઝન કરી દીધું હતું.

· કોલ ઈન્ડિયાએ સોલાર અને રિન્યૂએબલ એનર્જી માટે 2 યુનિટ્સ શરૂ કર્યાં છે. જેનું નામકરણ સીઆઈએલ સોલર અને સીઆઈએલ નવીકરણીય ઉર્જા રાખવામાં આવ્યું છે.

· ડેન નેટવર્ક્સઃ કંપનીએ ચાથો ક્વાર્ટરમાં રૂ. 36.98 કરોડનો નફો રળ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 24.66 કરોડ હતો.

એચડીએફસી બેંક પરિણામ

એચડીએફસી બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 8186 કરોડનો નફો નોંધાવ્યો

બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 12.6 ટકા વધી રૂ. 17120 કરોડ થઈ

કોવિડ સંબંધી અનિશ્ચિતતાને કારણે બેંકે ડિવિડન્ડ આપવાનું ટાળ્યું



ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકે માર્ચ ક્વાર્ટરના અંતે ઉત્કૃષ્ટ પરિણામો જાહેર કર્યાં છે. ચોથા ક્વાર્ટરના અંતે બેંકનો ચોખ્ખો નફો 18.1 ટકા વધી રૂ. 8186.51 કરોડ રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં બેંકે નોંધાવેલા રૂ. 6927.69 કરોડના નફા સામે રૂ. 1200 કરોડથી વધુની વૃદ્ધિ સૂચવે છે. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ(એનઆઈઆઈ) પણ 12.6 ટકા ઉછળી રૂ. 17,120 કરોડ રહી હતી. જે 31 માર્ચ 2020ના અંતે રૂ. 15,204 કરોડ પર હતી. કંપનીની ઈન્ટરેસ્ટ સિવાયની અન્ય આવક માર્ચ ક્વાર્ટરમાં 26 ટકા વધી રૂ. 7593 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6032 કરોડ પર હતી. આમ માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક રૂ. 24713 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 21236 કરોડ પર જોવા મળતી હતી.

કંપનીએ ત્રિમાસિક ધોરણે સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટમાં 6.5 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 8758.29 કરોડના ચોખ્ખા નફા સામે બેંકે રૂ. 600 કરોડની આસપાસનો ઘટાડો દર્શાવ્યો હતો. બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંહ એસેટ્સ(એનપીએ 1.31 ટકા વધી 1.26 ટકા રહી હતી. જ્યારે નેટ એનપીએ વધીને 0.40 ટકા રહી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તે 0.36 ટકા પર હતી. આમ તેમાં 0.04 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. દરમિયાનમાં કોવિડના બીજા તબક્કાને લઈને ઊભી થેલી અનિશ્ચિતતાને જોતાં બેંકના બોર્ડે નાણાકિય વર્ષ 2020-21માં ડિવિડન્ડ નહિ આપવાનો નિર્ણય લીધો હતો.

માર્ચ ક્વાર્ટર દરમિયાન બેંકનો મૂડી પર્યાપ્તતા દર 11.8 ટકા પર રહ્યો હતો. જે આરબીઆઈની માર્ગદર્શિકાઓ મુજબ 11.075 ટકાની જરૂરિયાત કરતાં ઘણો ઊંચો હતો. બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4693 કરોડનું પ્રોવિઝનીંગ કર્યું હતું. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 3784 કરોડ હતું. આમ પ્રોવિઝનીંગમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. ચોથા ક્વાર્ટરમાં કંપનીની ડિપોઝિટ્સમાં વાર્ષિક ધોરણે 16 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. શુક્રવારે બેંકનો શેર એનએસઈ ખાતે સાધારણ સુધારે રૂ. 1430.90ના સ્તરે બંધ રહ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage