Market Summary 16 March 2021

માર્કેટ સમરી

નિફ્ટીનું સતત ત્રીજા દિવસે નેગેટિવ બંધ

વૈશ્વિક બજારોના સપોર્ટ પાછળ પોઝીટીવ ઓપનીંગ બાદ મોટાભાગનો સમય સુધારા સાથે ટ્રેડ દર્શાવવા છતાં આખરે નિફ્ટી નેગેટિવ બંધ રહ્યો હતો. આમ શુક્રવાર, સોમવાર બાદ તેણે ત્રીજા દિવસે રેડ બંધ દર્શાવ્યું હતું. બજારને બેંકિંગ ક્ષેત્રનો સપોર્ટ સાંપડ્યો નહોતો. જોકે આઈટી અને એફએમસીજીના સપોર્ટ પાછળ બજાર ટકેલું રહ્યું હતું.

રોકાણકારોમાં ડિફેન્સિવ્સ તરફનું વલણ

મંગળવારે આઈટી અને એફએમસીજી સૂચકાંકોમાં મજબૂતી સૂચવે છે કે રોકાણકારો ડિફેન્સિવ્સ તરફ વળ્યાં છે. અલબત્ત, ઉપરોક્ત બંને ક્ષેત્રો લાંબા સમયથી અન્ડરપર્ફોર્મર હતાં અને તેથી તેમાં ખરીદી નીકળવી સ્વાભાવિક હતી. આઈટી ઈન્ડેક્સે તેની 34-ડીએમએને પાર કરી છે અને તેથી આગામી દિવસોમાં તે વધુ સુધારો જાળવી શકે તેમ છે.

ઈન્ફોસિસના શેરે પ્રથમવાર રૂ. 1400નું સ્તર દર્શાવ્યું

આઈટી અગ્રણી ઈન્ફોસિસ ટેક્નોલોજીનો શેર મંગળવારે પ્રથમવાર રૂ. 1400ના સ્તરને પાર કરી ગયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 1373ના બંધ સામે ત્રણેક ટકા સુધારા સાથે રૂ. 1406ના સ્તરે ટ્રેડ થયો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ પ્રથમવાર રૂ. 6 લાખ કરોડને સ્પર્શ્યું હતું અને આવુ સીમાચિહ્ન હાંસલ કરનાર ચોથી લિસ્ટેડ કંપની બની હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ અને એચડીએફસી બેંક હાલમાં રૂ. 6 લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવે છે.

અદાણી ગ્રીન એનર્જિ નવી ટોચ પર

લગભગ ત્રણેક મહિના સુધી કોન્સોલિડેશનમાં રહ્યાં બાદ અદાણી ગ્રીન એનર્જિના શેરમાં ફરી તેજી જોવા મળી રહી છે. મંગળવારે કંપનીનો શેર અગાઉના રૂ. 1197ના બંધ ભાવ સામે 5 ટકાના સુધારે રૂ. 1245ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીએ રૂ. 1.9 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. કંપનીનો શેર માર્ચ 2020ના રૂ. 113ના તળિયા સામે 11 ગણાનો સુધારો દર્શાવી રહ્યો છે.

સોનામાં સુધારો, ચાંદી-બેઝ મેટલ્સમાં નરમાઈ

સપ્તાહના બીજા દિવસે સોનું સાધારણ સુધારા સાથે પોઝીટીવ ટ્રેડ દર્શાવતું હતું. એમસીએક્સ ખાતે એપ્રિલ ગોલ્ડ વાયદો રૂ. 55ના સુધારે રૂ. 44955 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે ચાંદીમાં નરમાઈ જોવા મળી રહી હતી. સિલ્વર મે વાયદો રૂ. 253ના ઘટાડે રૂ. 67416 પર ટ્રેડ થતો હતો. બેઝ મેટલ્સમાં કોપર, ઝીંક, એલ્યુમિનિયમ, નિકલમાં નરમાઈ જોવા મળી રહી હતી. ક્રૂડ ઓઈલ પણ એક ટકા નરમાઈ સાથે રૂ. 4703 પર ટ્રેડ થતું હતું. એમસીએક્સ કોટન સાધારણ મજબૂતી દર્શાવતું હતું. કોટન માર્ચ વાયદો રૂ. 22140 પર ટ્રેડ થતો હતો.

 

ફેબ્રુઆરીમાં ટોચના ત્રણ મ્યુ. ફંડ્સે PSE અને પ્રાઈવેટ બેંક્સમાં કરેલી ખરીદી

મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ ક્ષેત્રે 18 ટકા જેટલું ફંડ મેનેજ કરતાં ફંડ્સે એસબીઆ, એનટીપીસી, કોલ ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડ. અને એક્સિસ બેંકમાં હિસ્સો વધાર્યો

ફંડ્સે ટીસીએસ, ઈન્ફોસિસ, ભારતી એરટેલ અને સન ફાર્મામાં નોંધાવેલી વેચવાલી

શેરબજાર બેન્ચમાર્ક્સ તેમની ટોચ નજીક ટ્રેડ થઈ રહ્યાં છે. ત્યારે દેશના અગ્રણી એસેટ મેનેજર્સ તેમના પોર્ટફોલિયોમાં કેવા ફેરફાર કરી રહ્યાં છે રસપ્રદ બની રહેશે. ફેબ્રુઆરી મહિનામાં ટોચની ત્રણ એસેટ ફંડ કંપનીઓએ તેમના પોર્ટફોલિયોમાં જાહેર સાહસો અને પ્રાઈવેટ બેંક્સના હિસ્સામાં ઉમેરો કર્યો છે. જ્યારે અગ્રણી આઈટી અને ટેલિકોમ કાઉન્ટર્સમાં થોડું વેચાણ નોંધાવ્યું છે. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પણ તેમણે ખરીદી દર્શાવી છે.

એક બ્રોકરેજે તૈયાર કરેલા  રિપોર્ટમાં ફેબ્રુઆરીમાં દેશમાં ટોચના મ્યુચ્યુલ ફંડ એસબીઆઈ મ્યુચ્યુલ ફંડે તેના પોર્ટફોલિયોમાં એસબીઆઈ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક જેવા શેર્સમાં ખરીદી કરી છે. રૂ. 2,62,700 કરોડ સાથે સૌથી મોટુ એસેટ અન્ડર મેનેજમેન્ટ ધરાવતી કંપનીએ એસબીઆઈમાં માસિક ધોરણે તેના હિસ્સામાં 0.6 ટકાન વૃદ્ધિ દર્શાવી છે. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 0.4 ટકાની અને એચડીએફસી બેંકમાં 0.3 ટકા વૃદ્ધિ નોંધાવી છે. બીજી બાજુ તેણે આઈટી જાયન્ટ ટીસીએસમાં 0.5 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે. તેણે ઈન્ફોસિસ અને ભારતી એરટેલમાં પણ હિસ્સો વેચ્યો છે. બજારમાં નવી ટોચ બનવા સાથે ફંડ્ઝે પ્રોફિટ બુકિંગ સાથે પોર્ટફોલિયોનું રિબેલેન્સિંગ કર્યું છે. જેને કારણે સ્થાનિક સંસ્થાઓનો ફ્લો થોડો ધીમો પડ્યો છે. ફેબ્રુઆરીમાં કુલ ઈક્વિટી એયૂએમ 7.9 ટકા વધી રૂ. 10 લાખ કરોડના વિક્રમી સ્તર પર પહોંચ્યું હતું. ડેમાં ઈએલએસએસ અને ઈન્ડેક્સ ફંડ્સનો સમાવેશ થાય છે. મહિના દરમિયાન સ્થાનિક એમએફ ઉદ્યોગનું કુલ એયૂએમ 3.7 ટકા વધી રૂ. 31.6 લાખ કરોડ પર પહોંચ્યું હતું. ટોચની 20 એએમસી કંપનીઓની ઈક્વિટી વેલ્યૂ માસિક ધોરણે 7.7 ટકા વધી હતી. જ્યારે વાર્ષિક ધોરણે તે 24.9 ટકા વધી હતી. નિફ્ટીમાં માસિક ધોરણે 6.6 ટકા વૃદ્ધિ સામે ફંડ્સે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું એમ જોઈ શકાય છે.

અભ્યાસમાં સમાવિષ્ટ અન્ય બે અગ્રણી એએમસીની ફેબ્રુઆરીની ગતિવિધિ પર નજર નાખીએ તો એચડીએફસી બેંકે એસબીઆઈ, એનટપીસી, કોલ ઈન્ડિયા અને રિલાયન્સ ઈન્ડ.માં ખરીદી કરી હતી. તેણે એસબીઆઈમાં હિસ્સો 0.8 ટકા વધાર્યો હતો. જયારે એનટીપીસીમાં 0.4 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. બીજી બાજુ તેણે આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસિસ, એલએન્ડટી અને આઈટીસીમાં ચોખ્ખું વેચાણ દર્શાવ્યું હતું. એસબીઆઈ એએમસી, એચડીએફસી એએમસી અને આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ મળીને ઈન્ડસ્ટ્રીના કુલ એયૂએમના 18 ટકા જેટલો ઊંચો હિસ્સો ધરાવે છે. આઈસીઆઈસીઆ પ્રૂડેન્શિયલ મ્યુ. ફંડે પણ એસબીઆઈ, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, રિલાયન્સ ઈન્ડ.માં ખરીદી કરી હતી. જ્યારે ભારતી એરટેલ, ઈન્ફોસિસ, આઈટીસી અને સન ફાર્મામાં હિસ્સો ઘટાડ્યો હતો. એ વાત ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં રોકાણકારોએ રૂ. 4534 કરોડના ઈક્વિટી મ્યુ. ફંડ્સનું વેચાણ કર્યું હતું. જે જાન્યુઆરીમાં રૂ. 9253 કરોડની સરખામણીમાં અડધાથી પણ ઓછું હતું.

 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage