Market Summary 17 Nov 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક હરિફોની સરખામણીમાં ભારતીય બજારનું અન્ડરપર્ફોર્મન્સ જળવાયુ
નિફ્ટીએ 17900નું સ્તર તોડ્યું, સેન્સેક્સ 60000 જાળવવામાં સફળ
ઓટો સેક્ટરમાં મજબૂતી બરકરાર, આઈટી-પીએસયૂ બેંક્સમાં સ્થિરતા
ફાર્મા, રિઅલ્ટી, એનર્જિ, ઈન્ફ્રા અને કોમોડિટીઝ સેક્ટર્સમાં વેચવાલી જળવાય

ચાલુ કેલેન્ડરમાં ઓક્ટોબર મહિના સુધી વૈશ્વિક બજારોની સરખામણીમાં આઉટપર્ફોર્મર દર્શાવ્યાં બાદ ક્રમ બદલાયો છે. ભારતીય બજારે નવેમ્બર મહિનામાં અત્યાર સુધી વૈશ્વિક હરિફોની સામે નબળો દેખાવ દર્શાવ્યો છે. બુધવારે બેન્ચમાર્ક નિફ્ટી 100.55 પોઈન્ટ્સ અથવા 0.56 ટકા ગગડી 17898.65ના સ્તરે બંઘ રહ્યો હતો. જોકે સેન્સેક્સ 314 પોઈન્ટ્સ અથવા 0.52 ટકા ઘટી 60008.33ના સ્તરે બંધ રહેવા સાથે મહત્વના સાઈકોલોજિકલ સપોર્ટને જાળવવાં સફળ રહ્યો હતો. નિફ્ટીના 50 પ્રતિનિધિઓમાંથી માત્ર 16 સુધારો દર્શાવી શક્યાં હતાં. જ્યારે 34 કાઉન્ટર્સ નગેટિવ બંધ જોવા મળતાં હતાં.
વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજારની શરૂઆત પણ ગેપ-ડાઉન જોવા મળી હતી. જોકે શરૂઆતી કલાકમાં બજાર બાઉન્સ થઈને પોઝીટીવ ઝોનમાં જોવા મળ્યું હતું અને નિફ્ટી 17099ના અગાઊના બંધ સામે 18023ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે આ સુધારો ટકી શક્યો નહોતો અને બે બાજુની વધ-ઘટના બે રાઉન્ડ બાદ તે આખરે દિવસના તળિયા પર બંધ રહ્યો હતો. તેણે નવી સંવતની શરૂઆત અગાઉ મૂહૂર્ત દિવસે નોંધાવેરા 17900ના બંધની સપાટી નીચે બંધ આપ્યું હતું. જે સૂચવે છે કે માર્કેટમાં આગામી સમયગાળામાં વધુ નરમાઈ જોવા મળી શકે છે. બેન્ચમાર્ક માટે મહત્વના એવા બેંકિંગ, મેટલ્સ અને એનર્જી ક્ષેત્રો તરફથી તેને સપોર્ટ સાંપડી રહ્યો નથી. નિફ્ટી બેંક છેલ્લાં ઘણા સત્રોથી સતત ઘટાડો દર્શાવી રહ્યો છે. બુધવારે પણ તે 0.7 ટકા ઘટાડે 38041.55ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. 41829.60ની પખવાડિયા અગાઉની સર્વોચ્ચ સપાટી પરથી તે 9 ટકા જેટલો તૂટી ચૂક્યો છે. ખાનગી બેંકિંગ કંપનીઓના શેર્સમાં વેચવાલી આ માટેનું મુખ્ય કારણ છે. એક્સિસ બેંક, બંધન બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, કોટક બેંક, એચડીએફસ બેંક એક ટકાથી વધુ ઘટાડો દર્શાવતાં હતાં અને તાજેતરના તળિયા પર ટ્રેડ થયાં હતાં. જોકે સતત બે દિવસથી ઘટતાં રહ્યાં બાદ પીએસયૂ બેંક શેર્સમાં નીચા સ્તરે ખરીદી જોવા મળી હતી અને તે પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં.
નિફ્ટી ઓટોમાં પણ 0.71 ટકાનો સુધારો નોંધાયો હતો અને તે 12139.75ની ટોચ દર્શાવી 12062ના સ્તરે બંધ આપવામાં સફળ રહ્યો હતો. જે તેની પાંચ વર્ષોની ટોચની સપાટી છે. ઓટો ક્ષેત્રે ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, બોશ અને એમઆરએફ જેવી કંપનીઓમાં ખરીદી જોવા મળી હતી. મારુતિ સુઝુકીનો શેર 2.8 ટકાના ઉછાળે રૂ. 8275ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે ટાટા મોટર્સે 2.14 ટકા સુધારા સાથે રૂ. 530.15ની પાંચ વર્ષોની ટોચ પર બંધ દર્શાવ્યું હતું. નિફ્ટી આઈટી પોઝીટીવ બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી ફાર્મા 1.3 ટકા અને નિફ્ટી રિઅલ્ટી 1.64 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. એચપીસીએલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સતત બીજા દિવસે 2 ટકાથી વધુ ઘટાડા પાછળ એનર્જી ઈન્ડેક્સ 0.45 ટકા જેટલો તૂટ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 2500ની સપાટી નીચે બંધ રહ્યો હતો.
બ્રોડ માર્કેટમાં મીડ-કેપ્સમાં વેચવાલી જોવા મળી હતી. જ્યારે સ્મોલ-કેપ્સમાં ખરીદી નીકળી હતી. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.67 ટકા ગગડી બંધ જોવા મળ્યો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.13 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે 3464 ટ્રેડેડ કાઉન્ટર્સમાઁથી 1452 કાઉન્ટર્સ પોઝીટીવ ઝોનમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 1885 કાઉન્ટર્સે ઘટાડો નોંધાવ્યો હતો. 354 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 202 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ દર્શાવી રહ્યાં હતાં. 212 કાઉન્ટર્સ તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયાં હતાં. જ્યારે 35 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.


IPO માટે ધસારાને જોતાં સેબીનો કડક નિયમોનો પ્રસ્તાવ
સ્ટાર્ટ-અપ્સ આઈપીઓ પર ફંડ સંબંધી મર્યાદાઓ, વર્તમાન રોકાણકારોના હિસ્સા વેચાણ પર નિયંત્રણ તથા એન્કર ઈન્વેસ્ટર્સ માટે લોક-ઈન પિરિયડને 90 દિવસોનો કરવા જેવી બાબતોનો સમાવેશ
છેલ્લાં કેટલાંક મહિનાઓથી પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ લઈને પ્રવેશી રહેલી કંપનીઓની સંખ્યામાં ઊંચી વૃદ્ધિને જોતાં માર્કેટ રેગ્યુસેટર સેબીએ આઈપીઓ માટેના નિયમોને વધુ સખત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આમ કરવા પાછળનું કારણ પારદર્શક્તા તથા જવાબદેહિતામાં વૃદ્ધિ આણવાનો છે.
આ માટે માર્કેટ રેગ્યુલેટરે મૂકેલા કેટલાંક પ્રસ્તાવોમાં કંપનીઓને તેમના ઈનઓર્ગેનિક ગ્રોથ માટેના પગલાઓના ભાગરૂપે ભંડોળ ઊભું કરવા પર અંકુશની માગણી કરી છે. ખાસ કરીને તેણે સ્ટાર્ટ-અપ્સ માટે આવી જોગવાઈ કરવા જણાવ્યું છે. સાથે આઈપીઓમાં વર્તમાન રોકાણકારો કેટલો હિસ્સો વેચી શકે તેના પર પણ નિયંત્રણ માટે સેબી વિચારી રહી છે. વધુમાં સેબીએ એન્કર ઈન્વેસ્ટર્સ માટેના લોક-ઈન પિરિયડને હાલના 30 દિવસોથી વધારી 90 દિવસોનો કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. સાથે તેણે આઈપીઓમાંથી ઊભા કરવામાં આવેલા નાણાના ઉપયોગનો મોનીટરિંગની ઈચ્છા પણ દર્શાવી છે.
સેબી તરફથી ઉપરોક્ત પ્રસ્તાવો માટેનું કારણ ચાલુ કેલેન્ડરમાં આઈપીઓ મારફતે ઊભી કરવામાં આવેલી રૂ. એક લાખ કરોડથી વધુની વિક્રમી રકમ છે. જેમાંનો મોટો હિસ્સો ન્યૂ-એજ તથા લોસ-મેકિંગ કંપનીઓ દ્વારા એકત્ર કરવામાં આવ્યો છે. મંગળવારે માર્કેટ રેગ્યુલેટરે આ સંદર્ભમાં એક કન્સલ્ટેશન પેપર જારી કર્યું હતું. જેને લઈને સેબીએ ચાલુ મહિનાની આખર સુધીમાં માર્કેટ પાર્ટિસિપન્ટ્સ પાસેથી પ્રતિભાવ પણ માગ્યો છે. જ્યારબાદ તે નવા નિયમો અંગે આખરી નિર્ણય કરશે.


ક્રિપ્ટો એક્સચેન્જિસને ઈ-કોમ પ્લેટફોર્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે તેવી શક્યતાં
આવા પ્લેટફોર્મ્સ પર જીએસટી હેઠળ એક ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ લાગુ પાડવામાં આવશે

કેન્દ્ર સરકાર દેશમાં ક્રિપ્ટોકરન્સિઝના ટ્રેડિંગ માટે સક્રિય એક્સચેન્જિસને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ તરીકે વર્ગીકૃત કરે તેવી શક્યતાં છે. સાથે આવા પ્લેટફોર્મ્સ પર જીએસટી કાયદા હેઠળ એક ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ લાગુ પાડવામાં આવી શકે છે. સરકાર દેશમાં ક્રિપ્ટો ટ્રેડિંગના રેગ્યુલેશન માટે આમ કરી રહી છે. તેનો હેતુ વર્ચ્યુલ કરન્સી ટ્રાન્ઝેક્શન્સ પર દેખરેખ રાખવાનો છે.
સરકારી વર્તુળોના જણાવ્યા મુજબ ક્રિપ્ટોકરન્સિઝ એક્સચેન્જિસને ત્રણ કેટેગરીઝમાં વર્ગીકૃત કરવાનો પ્રસ્તાવ છે. જેમાં એક છે ફેસિલીટેટર. બીજું છે બ્રોકરેજિસ જે ખરીદ અને વેચાણની છૂટ આપે છે. જ્યારે ત્રીજી કેટેગરી ટ્રેડિંગ પ્લેટફોર્મ્સની છે. જે ટ્રેડિંગ માટે એક ઈન્ટરફેસ પૂરો પાડે છે. આ કેટેગરીઝમાં તેમણએ જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ક્રિપ્ટોકરન્સિઝની ખરીદ તથા વેચાણ કરતાં ગ્રાહકો પાસેથી ટીસીએસ ઉઘરાવવાનો રહેશે. હાલના ટેક્સેશનના નિયમોમાં આવી એસેટ્સ માટે યોગ્ય વર્ગીકરણ પૂરું પાડવામાં આવેલું જ છે એમ અધિકારી જણાવે છે. તેમના મતે ઈન્કમ-ટેક્સ વિભાગ તરફથી તથા એક્સચેન્જિસ તરફથી પ્રાપ્ત ડેટાનો ઉપયોગ કરી 2017ના વર્ષથી ક્રિપ્ટોકરન્સિઝના ખરીદ-વેચાણ, માઈનીંગ તથા એક્સચેન્જ પર ટેક્સ લાગુ પાડવામાં આવે તેવી શક્યતા છે. નાણા મંત્રાલયમાં હાલમાં ક્રિપ્ટોકરન્સિઝની ખરીદ, વેચાણ, એક્સચેન્જ, ટ્રાન્સફર, સપ્લાય અને સ્ટોરેજ પર 18 ટકા જીએસટી લાગુ પાડવાની બાબતનો સમાવેશ થાય છે. જેને રોકાણકારો પાસેથી ઉઘરાવવાનો રહેશે. ક્રિપ્ટોકરન્સિઝ પ્લેટફોર્મ્સે જ આ ટેક્સને ડિડક્ટ કરવાનો રહેશે. જેને રોકાણકારોની ટેક્સ જવાબદારીઓ સામે સેટ ઓફ પણ કરી શકાય તેવી શક્યતા છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર સેલર્સમાં કોમ્પ્લાયન્સને લઈને સુધારા માટે ટીસીએસની જોગવાઈ કરવામાં આવી હતી.


સરકારનો ચાલુ નાણા વર્ષે 5-6 PSUનું ખાનગીકરણનો લક્ષ્યાંક
એલઆઈસીનો આઈપીઓ ચાલુ વર્ષના ચોથા ક્વાર્ટરમાં આવવાની અપેક્ષા
બીઈએમએલ, શીપીંગ કોર્પોરેશનના ખાનગીકરણની પ્રક્રિયા પણ 2021-22માં જ પૂરી કરવાનો ધ્યેય

ભારત સરકાર ચાલુ નાણાકિય વર્ષ 2021-22 દરમિયાન પાંચથી છ જાહેર સાહસોના ખાનગીકરણને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જેમાં ઓઈલ માર્કેટિંગ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનનો સમાવેશ થાય છે એમ ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સેક્રેટરી તુહીન કાંતા પાંડેએ જણાવ્યું છે. બીપીસીએલ ઉપરાંત સરકાર બીઈએમએલ અને શીપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ખાનગીકરણની કામગીરી પણ પૂર્ણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. સાથે જ માર્ચ 2022 સુધીમાં તે સરકારી માલિકીની જીવન વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને શેરબજાર પર લિસ્ટ કરાવવા ઈચ્છે છે એમ તેમણે ઉમેર્યું હતું.
પાંડેએ જણાવ્યું હતું હાલમાં બીપીસીએલનું ડિસઈન્વેસ્ટમેન્ટ ડ્યુ ડિલિજન્સના તબક્કે પહોંચ્યું છે. આગામી બે મહિના દરમિયાન સરકાર એનઆઈએનએલ, એસસીઆઈ, બીઈએમએલ અને પવન હંસ માટે પણ ફાઈનાન્સિયલ બિડ્સની અપેક્ષા રાખે છે. સરકાર ટાટા જૂથને એર ઈન્ડિયાના હસ્તાંતરણ માટે ડિસેમ્બર મહિનાનો ટાર્ગેટ રાખી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એલઆઈસીના આઈપો પર ખાસ ભાર મૂકી રહ્યાં છે. જેને કારણે સરકાર રૂ. 40 હજાર કરોડથી લઈ રૂ. એક લાખ કરોડ સુધીની રકમ ઊભી કરી શકે એમ છે. તે અંદાજપત્રીય ખાધને પહોળી બનતી અટકાવવામાં સહાયરૂપ બની શકે છે. સરકાર તેના ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટના ભાગરૂપે એલઆઈસીનો 5-10 ટકા હિસ્સો વેચે તેવી શક્યતા છે. સરકાર એલઆઈસીના આઈપીઓમાં વિવિધ ઈન્વેસ્ટર્સ સેગમેન્ટ્સ તરફથી બહોળી માગની ખાતરી માટે એલઆઈસીમાં સીધા વિદેશી રોકાણ માટે છૂટ આપે તેવી શક્યતાં પણ જોવામાં આવી રહી છે. સરકારને જાહેર ક્ષેત્રના રિફાઈનર અને ઓઈલ માર્કેટર બીપીસીએસના ડિસઈન્વેસ્ટમેન્ટમાંથી લગભગ 13 અબજ ડોલરની રકમ મળે તેવી શક્યતા છે.


RBIની ડિજીટલ કરન્સી માટે પાયલોટ પ્રોજેક્ટ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેની ડિજિટલ કરન્સી(સીબીડીસી) માટેનો પ્રથમ પાયલોટ આગામી નાણાકિય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં લોંચ કરે તેવી શક્યતાં મધ્યસ્થ બેંકના સિનિયર અધિકારીએ જણાવી છે. બુધવારે એસબીઆઈ આયોજીત વાર્ષિક બેંકિંગ એન્ડ ઈકોનોમિક કોન્ક્લેવમાં તેમણે આમ જણાવ્યું હતું. તેમના મતે 2022-23ના પ્રથમ ક્વાર્ટર સુધીમાં પાયલોટ લોંચ થઈ શકે તેવી શક્યતાં છે. આરબીઆઈના પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ ડિપાર્ટમેન્ટના ચીફ જનરલ મેનેજર પી વાસુદેવને જણાવ્યું હતું કે અમે આ પ્રોજેક્ટને લઈને બુલીશ છીએ. અગાઉ સેન્ટ્રલ બેંકના વરિષ્ઠ અધિકારીઓ જણાવી ચૂક્યાં છે. સીબીડીસી અંગેનું કામકાજ એકદમ આખરી તબક્કામાં ચાલી રહ્યું છે.

ઓક્ટોબરમાં પીઈ ઈન્વેસ્ટમેન્ટ્સ 71 ટકા ઉછળી 12.9 અબજ ડોલર પર
દેશમાં પ્રાઈવેટ ઈક્વિટી તથા વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટરમેન્ટ્સમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. ઓક્ટોબર દરમિયાન તે વાર્ષિક ધોરણે 71 ટકા ઉછળી 12.9 અબજ ડોલર પર રહ્યું હતું. જે પાછળનું મુખ્ય કારણ મોટા કદના ખરીદ સોદાઓ હતા. ગયા મહિને કુલ 127 ડિલ્સ નોંધાયા હતા. જે ગયા વર્ષે ઓક્ટોબરમાં જોવા મળેલા 92 ડિલ્સ કરતાં 28 ટકા વધુ હતા. જોકે સપ્ટેમ્બર 2021 દરમિયાન નોંધાયેલા 134 ડિલ્સ કરતાં તે 5 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. કેલેન્ડર વર્ષ 2021ની વાત કરીએ તો ઓક્ટોબરની આખર સુધીમાં કુલ 65.6 અબજ ડોલરના ડિલ્સ થઈ ચૂક્યાં છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળેલા 47.6 અબજ ડોલરની સરખામણીમાં 28 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ઓક્ટોબર મહિના દરમિયાન 10 કરોડ ડોલરથી વધુનું મૂલ્ય ધરાવતાં 21 ડીલ્સ જોવા મળ્યાં હતાં. જેમાં કાર્લાઈલ દ્વારા હેક્ઝાવેરના 3 અબજ ડોલરની ખરીદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બ્લેકસ્ટોને 1.9 અબજ ડોલરમાં કરેલા વીએફએસ ગ્લોબલ સર્વિસિઝની ખરીદીનો સમાવેશ પણ થાય છે. બાયઆઉટ્સની રીતે ઓક્ટોબર મહિનામાં સૌથી ઊંચી રકમના ડીલ્સ થયાં હતાં. જેમાં છ સોદાઓમાં 6 અબજ ડોલરનું રોકાણ નોઁધાયું હતું.

ત્રીજા ક્વાર્ટરમાં ફિનટેક ઈન્વેસ્ટમેન્ટમાં ભારત ટોચ પર
એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સના એક અહેવાલમાં જણાવાયું છે કે કેલેન્ડર 2021ના ત્રીજા ક્વાર્ટરમાં ફિનટેક ઈન્વેસ્ટમેન્ટ્સ બાબતમાં ભારતે તેની આગેવાની જાળવી રાખી છે. અહેવાલમાં જણાવ્યા મુજબ કુલ 66 સોદાઓમાં ભારતે 1.93 અબજ ડોલરનું રોકાણ મેળવી એશિયા-પેસિફિક પ્રદેશમાં સૌથી સારો દેખાવ કર્યો છે. જો સમગ્ર એશિયાની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં ફિનટેક કંપનીઓમાં રોકાણ ત્રિમાસિક ધોરણે 68 ટકા ઉછળી 5.47 અબજ ડોલર પર રહ્યું હતું. કુલ ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા પણ 21 ટકા વધી 216 ડિલ્સ પર રહી હોવાનું એસએન્ડપી જણાવે છે. આશ્ચર્યની વાત એ છે કે ભારત બાદ દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં ફિનટેક રોકાણ નોંધપાત્ર જોવા મળે છે. જ્યારે જાપાન અને ચીનમાં તે સૌથી નીચા સ્તરે છે

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage