Market Summary 20 July 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી
નિફ્ટીએ મહત્વનો સપોર્ટ તોડ્યો
વૈશ્વિક બજારોની પાછળ ભારતીય બજાર પણ નરમ જળવાયું હતું. લાંબા સમયબાદ બજાર સમગ્ર દિવસ દરમિયાન રેડ ઝોનમાં જ જળવાયું હતું અને બ્રોડ બેડ વેચવાલી પાછળ માર્કેટ-બ્રેડ્થ પણ નરમ રહી હતી. નિફ્ટી 15750 નજીક 34-ડીએમએના સ્તરને તોડી 15578 સુધી ગગડ્યો હતો અને આખરે 15632ના સ્તરે બંધ આવ્યો હતો. નિફ્ટી ફ્યુચર 15630 સાથે ડિસ્કાઉન્ટમાં બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં શોર્ટ સેલર્સને શોર્ટ કવરિંગની કોઈ ઉતાવળ નથી. એચડીએફસી બેંકના પરિણામ બાદ બેકિંગ સેક્ટર સતત નરમાઈ દર્શાવી રહ્યું છે. મંગળવારે પણ બેંક નિફ્ટી 1.9 ટકાનો નોંધપાત્ર ઘટાડો દર્શાવતો હતો. જાહેર રજાને કારણે બુધવારે ભારતીય બજારો બંધ છે.
એફએમસીજી ગ્રીન ઝોનમાં ટકવામાં સફળ
મંગળવારે બજારમાં એકમાત્ર એફએમસીજી ઈન્ડેક્સ સાધારણ ગ્રીન જોવા મળ્યો હતો. જેનું મુખ્ય કારણ એચયૂએલ જેવા કાઉન્ટરમાં એક ટકાની મજબૂતી હતું. મેરિકો, નેસ્લે, ગોદરેજ કન્ઝ્યૂમરમાં પણ પોઝીટીવ બંધ જોવા મળ્યું હતું.

FIIની વણથંભી વેચવાલીઃ 18માંથી 16 સત્રોમાં કુલ રૂ. 18000 કરોડનું વેચાણ

અગાઉ એપ્રિલ અને મે બાદ હવે જુલાઈ મહિનામાં વિદેશી રોકાણકારોનું નેગેટિવ વલણ

ઈમર્જિંગ માર્કેટ્સ ફંડમાં પણ એફઆઈઆઈ છેલ્લા બે સપ્તાહથી ચોખ્ખું વેચાણ દર્શાવે છે



ભારતીય બજારે લાંબા સમયબાદ સતત ત્રણ ટ્રેડિંગ સત્રો દરમિયાન ઘટાડા સાથે બંધ દર્શાવ્યું હતું. વૈશ્વિક બજારોમાં નરમાઈ પાછળ સ્થાનિક સ્તરે વિદેશી સંસ્થાકિય રોકાણકારોનું વેચાણ પણ આમાં મહત્વનું પુરવાર થયું છે. અગાઉ એપ્રિલ અને મે મહિના દરમિયાન ભારતીય બજારમાં ચોખ્ખું વેચાણ દર્શાવનાર એફઆઈઆઈનું વલણ છેલ્લા ચાર સપ્તાહોમાં ભારતીય બજાર માટે આકરું જોવા મળી રહ્યું છે. તેમણે 18માંથી 16 સત્રોમાં ચોખ્ખું વેચાણ નોંધાવ્યું છે. જ્યારે બે ટ્રેડિંગ સત્રો દરમિયાન સાધારણ ખરીદી નોંધાવી છે.

અગાઉ એપ્રિલ મહિના દરમિયાન વિદેશી સંસ્થાકિય રોકાણકારો ભારતીય બજારમાં રૂ. 9600 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. જ્યારે મે મહિનામાં તેમણે માત્ર રૂ. 2954 કરોડની સાધારણ વેચવાલી નોંધાવી હતી. જૂન મહિનાના શરૂઆતી પખવાડિયામાં તેમનો દેખાવ સારો જળવાયો હતો. જોકે પાછળથી તેઓ ફરી વેચવાનું વલણ દર્શાવતાં થયાં હતાં અને તે હજુ સુધી જળવાયું છે. જૂન મહિનાના છેલ્લા સપ્તાહથી 19 જુલાઈ(સોમવાર) સુધીના ટ્રેડિંગ સત્રોનો અભ્યાસ કરીએ તો જણાય છે કે એફઆઈઆઈએ સતત એક દિશામાં તેનું માનસ જાળવી રાખ્યું છે. સોમવારે તેણે ભારતીય બજારમાં રૂ. 2200 કરોડની વેચવાલી નોંધાવી હતી. ગણતરીમાં લીધેલાં સમયગાળામાં બે ટ્રેડિંગ સત્રોને બાદ કરતાં તેણે મોટાભાગના સમય દરમિયાન રૂ. 338 કરોડથી લઈ રૂ. 2900 કરોડની રેંજમાં ચોખ્ખું વેચાણ નોંધાવ્યું છે. માત્ર 13 જુલાઈ અને 29 જૂને તેણે અનુક્રમે રૂ. 114 કરોડ અને રૂ. 116 કરોડની સાધારણ ખરીદી દર્શાવી હતી. અભ્યાસમાં લીધેલાં 18 ટ્રેડિંગ સત્રોમાં એફઆઈઆઈની કુલ વેચવાલી રૂ. 18000 કરોડ જેટલી ઊંચી જોવા મળી રહી છે. જે માર્ચ 2020 પછીની તેની સૌથી ઝડપી વેચવાલી છે એમ કહી શકાય. કેમકે ઓક્ટોબર 2020થી માર્ચ 2020 સુધી વિદેશી રોકાણકારો નેટ ઈન્વેસ્ટર બની રહ્યાં હતાં. જ્યારે અગાઉ જણાવ્યું એમ એપ્રિલ-મેમાં તેમણે હળવું વેચાણ નોંધાવ્યું હતું. જોકે તેમનું તાજેતરનું વલણ સૂચવે છે કે તેઓ ફેડના હોકિશ વલણને ધ્યાનમાં લઈ નવું રોકાણ કરી રહ્યાં નથી. તેમજ ધીમે-ધીમે વેચાણ દર્શાવી રહ્યાં છે. એનાલિસ્ટ્સ પણ એફઆઈઆઈના ટ્રેન્ડમાં લગભગ દસેક મહિના બાદ પરિવર્તન જોઈ રહ્યાં છે. તેમના મતે જ્યાં સુધી યુએસ ખાતે ઈન્ફ્લેશન ડેટા રાહત નહિ આપે ત્યાં સુધી તેઓ ભારત સહિતના ઈમર્જિંગ બજારોમાં નવું ફંડ લાવવાનું ટાળશે. કેમકે જો ઈન્ફ્લએશન ડેટા ઊંચો આવશે અને ફેડ તત્કાળ બોન્ડ બાઈંગ બંધ કરવાની જાહેરાત કરશે તો તેમને માટે કપરી સ્થિતિ ઊભી થશે. જે વખતે પેનિક થાય તેના કરતાં બજારમાંથી ધીમે-ધીમે ફંડ નીકાળવાની સ્ટ્રેટેજી તેમણે અપનાવી હોય તેમ જણાય છે. એપ્રિલ-મે દરમિયાન સ્થાનિક સંસ્થાઓ એફઆઈઆઈની વેચવાલીને પચાવવામાં મહત્વનો સપોર્ટ પૂરો પાડી રહ્યાં હતાં. જોકે જુલાઈમાં ઘણા ટ્રેડિંગ સત્રોમાં એફઆઈઆઈ અને ડીઆઈઆઈ, બંને એકસાથે વેચવાલ બન્યાં હોવાનું પણ જોવા મળ્યું છે. જોકે બીજી બાજુ રિટેલ તથા એચએનઆઈ ઈન્વેસ્ટર્સ તરફથી બજારમાં મજબૂત ઈનફ્લો જોવા મળ્યો છે અને હાલમાં તે બજારને મજબૂત સપોર્ટ પૂરો પાડી રહ્યો હોવાનું વર્તુળો જણાવે છે.




PSU બેંક્સે રૂ. 8 લાખ કરોડની લોન માંડવાળ કરી

આરબીઆઈના એક ડેટા મુજબ છેલ્લા સાત વર્ષોમાં જાહેર ક્ષેત્રની બેંકોની કુલ રૂ. 8 લાખ કરોડની લોન રાઈટ-ઓફ્સ એટલેકે માંડવાળ કરવામાં આવી છે. જે 2014-15થી 2020-21ના સાત વર્ષોમાં સરકાર દ્વારા આ બેંક્સમાં રોકવામાં આવેલા રૂ. 3.37 લાખ કરોડની સરખામણીમાં બમણી રકમ છે. સરકારે 2028-19માં રિકેપિટલાઈઝેશનના ભાગરૂપે રૂ. 1.06 લાખ કરોડની સૌથી વધુ રકમ પીએસયૂ બેંક્સમાં ઈનફ્યૂઝ કરી હતી. 2020-21માં તેણે રૂ. 14500 કરોડ ઈનફ્યૂઝ કર્યાં હતાં. જ્યારે બીજી બાજુ બેંક્સે તેના કરતાં બમણી રકમ રાઈટઓફ્સ કરી હતી.

સ્વિગીનું વેલ્યૂએશન 5.5 અબજ ડોલર પર અંકાયું

ફૂડ ડિલીવરી કંપની સ્વિગીએ તાજેતરમાં ઊભા કરેલા 1.25 અબજ ડોલર સાથે તેનું વેલ્યૂએશન 5.5 અબજ ડોલર પર પહોંચ્યું છે. કંપનીમાં સોફ્ટબેંક વિઝન ફંડ 2એ પ્રથમવાર ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. સ્વિગી સાથે લોંગ-ટર્મ ઈન્વેસ્ટર તરીકે જોડાયેલા પ્રોસુસ એ વિશ્વમાં સૌથી મોટા ટેક્નોલોજી ઈન્વેસ્ટર્સમાંનો એક છે. કંપનીમાં રોકાણ ધરાવતાં હોય તેઓએ પણ આ નવા રાઉન્ડમાં ભાગ લીઘો હતો. જેમાં એસ્સેલ પાર્ટનર્સ અને વેલિંગ્ટન મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. ઉપરાંત સ્વિગીએ કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીને નવા રોકાણકાર તરીકે આકર્ષ્યું હતું. ઉપરાંત ફાલ્કન એજ કેપિટલ, અમંસા કેપિટલ, ગોલ્ડમેન સેચે પણ ફ્રેશ રાઉન્ડમાં રોકાણ કર્યું છે. જ્યારબાદ બેંગલુરું સ્થિત સ્ટાર્ટ-અપનું વેલ્યૂએશન 3.6 અબજ ડોલર પરથી વધી 5.5 અબજ ડોલર થયું છે.

મોતીલાલ ઓસ્વાલ રૂ. 4000 કરોડ ઊભા કરશે

મોતીલાસ ઓસ્વાલ પ્રાઈવેટ ઈક્વિટી(એમઓપીઈ) રૂ. 4000 કરોડનું પ્રાઈવેટ ઈક્વિટી ફંડ ઊભું કરવા વિચારી રહી છે. તે સ્થાનિક તેમજ વૈશ્વિક રોકાણકારો પાસેથી આ ફંડ ઊભું કરશે એમ ફંડ મેનેજરના અધિકારીએ જણાવ્યું હતું. ફંડમાં 18-20 ટકા જેટલું યોગદાન મોતીલાલ ઓસ્વાલનું રહેશે. ફંડ કુલ રકમના 50 ટકા હિસ્સો સ્થાનિક સ્તરે મેળવવાની ઈચ્છા ધરાવે છે. જ્યારે બાકીનો હિસ્સો વિદેશી રોકાણકારો પાસેથી મેળવશે.

ડોલર સામે રૂપિયો 26 પૈસા સુધર્યો

વૈશ્વિક બજારમાં ડોલરમાં મજબૂતી તેમજ ઈક્વિટીઝમાં નરમાઈ છતાં ભારતીય ચલણમાં મંગળવારે બાઉન્સ જોવા મળ્યું હતું. છેલ્લાં બે સત્રોથી ડોલર સામે ઝડપી ઘટાડો દર્શાવ્યાં બાદ મંગળવારે રૂપિયામાં નીચેના સ્તરેથી સુધારો જોવા મળ્યો હતો. મંગળવારે રૂપિયો 74.88ના અગાઉના બંધ સામે 74.96ના સ્તરે ગેપ-ડાઉન ઓપનીંગ બાદ એક તબક્કે ઝડપી સુધારા પાછળ 74.54ના સ્તરે જોવા મળ્યો હતો. જ્યાંથી સાધારણ ઘટાડા સાથે 74.61ના સ્તરે બંધ રહ્યો હતો. સોમવારે એફઆઈઆઈએ ભારતીય ઈક્વિટીઝમાં રૂ. 2200 કરોડની વેચવાલી દર્શાવી હતી. છેલ્લાં ચાર ટ્રેડિંગ સત્રોથી તેઓ સતત વેચવાલી દર્શાવી રહ્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage