Market Summary 3 May 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

તાતા મોટર્સનો 50-70 કરોડ ડોલર EV બિઝનેસનો ટાર્ગેટ
તાતા જૂથની ઓટો કંપની તાતા મોટર્સ પર્સનલ ઈવી સેગમેન્ટ કરતાં પણ કમર્સિયલ ઈવી બિઝનેસમાં મોટા સ્તરે પ્રવેશી રહી છે. કંપની આગામી એક-બે વર્ષમાં કમર્સિયલ ઈવી બિઝનેસમાં 50-70 કરોડ ડલર(રૂ. 3800-5350 કરોડ)ના બિઝનેસનો ટાર્ગેટ જોઈ રહી છે. તાતા મોટર્સ સરકાર તરફથી ફ્લોટ કરવામાં આવેલા 5000 બસો માટેના ટેન્ડરમાં સૌથી નીચા બીડર તરીકે ઊભરી છે. જે રૂ. 3000 કરોડના બિઝનેસની શક્યતા ધરાવે છે. આ ઉપરાંત કંપની અડધા ડઝનથી વધુ લાસ્ટ-માઈલ ઈકોમર્સ કંપનીઓ તથા મોબિલિટી પ્રોવાઈડર્સ સાથે એમઓયૂ કરવાના આખરી તબક્કામાં છે. જેમાં એસ મીનિ ટ્રકના 15-20 હજાર યુનિટ્સની ડિલિવરની શક્યતાં રહેલી છે. જે 15-20 કરોડ ડોલરની બિઝનેસ તક ધરાવે છે.
વિદેશી પ્લેટફોર્મ્સ પર ક્રિપ્ટોસમાંથી મેળવેલા ઈન્ટરેસ્ટ પર આઈટીની નજર
ભારતીય ટ્રેડર્સે દેશની બહાર આવેલા પ્લેટફોર્મ્સ પર તેમની ક્રિપ્ટોકરન્સિઝ પર કમાયેલા ઈન્ટરેસ્ટ પર આવકવેરા વિભાગની નજર પડી હોવાનું જાણવા મળે છે. ટેક્સ ડિપાર્ટમેન્ટ ભારતીયો દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ અને ઈન્ટરેસ્ટ ઈન્કમ પર એડિશ્નલ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ અને ઈક્વલાઈઝેશન લેવી લાગુ પાડવા માટે વિચારી રહ્યું છે એમ વર્તુળો જણાવે છે. ભારતીયોમાં તેમની પાસે પડેલી ક્રિપ્ટોકરન્સિઝને નિશ્ચિત સમયગાળા માટે ડિપોઝીટ કરીને તેના પર વ્યાજ રળવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે તેવા સમયે આઈટી વિભાગની નજર પડી છે. સરકાર આવા ટ્રાન્ઝેક્શન્સ પર 20 ટકાનો ઊંચો ટીડીએસ વસૂલવા માટે વિચારી રહી છે. ખાસ કરીને જ્યારે આવા ટ્રાન્ઝેક્શન્સમાં પ્રવેશેલા વ્યક્તિઓમાંના એકે પેન કાર્ડ પણ રજૂ નહોતું કર્યું એમ વર્તુળ જણાવે છે.

અદાણી વિલ્મેરે કોહીનૂર સહિતની બ્રાન્ડ્સ ખરીદી
મૈકકોર્મિક સાથેના ડીલમાં ચારમિનાર અને ટ્રોફી જેવા અમ્બ્રેલા બ્રાન્ડનો પણ સમાવેશ
અદાણી જૂથની ખાદ્ય તેલ ક્ષેત્રે ટોચની કંપની અદાણી વિલ્મેરે(એડબલ્યુએલ) યુએસ જાયન્ટ મૈકકોર્મિક સ્વિટ્ઝ્લેન્ડ પાસેથી ભારત માટે કેટલીક બ્રાન્ડ્સની ખરીદી કરી છે. જેમાં પ્રખ્યાત બાસમતી રાઈસ બ્રાન્ડ કોહીનૂરનો પણ સમાવેશ થાય છે. આ ડીલમાં ચારમિનાર અને ટ્રોફી જેવા અમ્બ્રેલા બ્રાન્ડનો સમાવેશ પણ થાય છે. જેમની બ્રાન્ડ વેલ્યૂ રૂ. 115 કરોડ જેટલી છે. જોકે આ ડીલ કેટલામાં થયું તે અંગે અદાણીએ કોઈ સ્પષ્ટતા નથી કરી. સોમવારે શેરબજાર ખાતે અદાણી વિલ્મેરનો શેર 3.7 ટકા ઘટાડા સાથે રૂ. 751.50ના સ્તરે બંધ થયો હતો. કંપનીએ ક્વાર્ટરલી પરિણામોમાં નુકસાન દર્શાવ્યું હતું.
કોહીનૂર બાસમતી રાઈસ માટે વિશેષ અધિકાર સાથે અદાણી વિલ્મેરને ભારતમાં કોહીનૂર બ્રાન્ડ હેઠળ ‘રેડી ટુ કૂક’, ‘રેડી ટુ ઈટ’ કરી અને ભોજન પોર્ટફોલિયોના અધિકાર પણ પ્રાપ્ય બનશે. કોહીનૂર બ્રાન્ડ પોર્ટફોલિયો હેઠળ કોહીનૂર પ્રિમીયમ બાસમતી રાઈસ, ચારમિનાર(એફોર્ડેબલ રાઈસ) અને હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ તથા કેટરીંગ સેગમેન્ટ માટેની ટ્રોફી બ્રાન્ડનો સમાવેશ થાય છે. કોહીનૂરના સ્થાનિક બ્રાન્ડ પોર્ટફોલિયોના ઉમેરાને કારણે ફૂડ એફએમસીજી કેટેગરીમાં અદાણી વિલ્મેરની લીડરશીપ પોઝીશનને બળ મળશે. આ ખરીદીને કારણે અદાણી વિલ્મેર વૃદ્ધિના બીજા તબક્કામાં પ્રવેશ કરશે. સાથે જ રાઈસ સહિત અન્ય ફૂડ પ્રોડક્ટ્સમાં પ્રિમીયમ સેગમેન્ટ્સને કેટર કરવા માટે પોર્ટફોલિયોને વિશાળ બનાવશે. કોહીનૂર બ્રાન્ડની ખરીદી સાથે તે ભારતમાં રાઈસ ક્ષેત્રે મહત્વના ખેલાડી તરીકે ઊભરશે. કંપનીના એમડી અને સીઈઓ અંગ્શૂ મલીકે જણાવ્યા અનુસાર આ ખરીદી પ્રોડક્ટ્સ અને બ્રાન્ડ્સ પોર્ટફોલિયોના વિસ્તાર કરવાની અમારી બિઝનેસ સ્ટ્રેટેજી સાથે મેળ ખાય છે. અમે ઊંચા માર્જિન ધરાવતાં બ્રાન્ડેડ સ્ટેપલ્સ અને ફૂડ પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં પ્રવેશી રહ્યાં છીએ. અમારા મતે પેકેજ્ડ ફૂડ કેટેગરી હજુ ખૂબ ઓછો પ્રવેશ ધરાવે છે. તે વૃદ્ધિની વિશાળ તક પૂરી પાડે છે. કોહીનૂર બ્રાન્ડ એક મજબૂત બ્રાન્ડ રિકોલ ધરાવે છે અને તે ફૂડ એફએમસીજી કેટેગરીમાં અમારી ટોચની પોઝીશનને વધુ મજબૂત બનાવવામાં સહાયરૂપ બનશે.


ભારતે 100 યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સનું લક્ષ્યાંક હાંસલ કર્યું
2011માં ઈનમોબી પ્રથમ યુનિકોર્ન બની હતી
2021ની આખરમાં યુનિકોર્ન્સની સંખ્યા 82 પર જોવા મળી હતી
કેલેન્ડર 2021માં વિક્રમી 42 યુનિકોર્નનો ઉમેરો કર્યાં બાદ ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે હવે 100 યુનિકોર્ન્સની સંખ્યા પાર કરી મહત્વનું સીમાચિહ્ન નોંધાવ્યું છે. ચાલુ વર્ષે માર્ચ ક્વાર્ટરમાં તેણે વધુ 19 યુનિકોર્ન્સનો ઉમેરો કર્યો હત. જે સાથે જ 100 યુનિકોર્નની મહત્વપૂર્ણ સિદ્ધિને હાંસલ કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું હતું. વર્ષ 2021ના અંત સુધીમાં ભારતે તેના યુનિકોર્નની સંખ્યા બમણી કરીને 84 કરી હતી અને વર્ષ 2022ના પ્રથમ ક્વાર્ટરમાં આ સંખ્યા વધીને 99 સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચી હતી. હવે નિયોબેંકિંગ સ્ટાર્ટઅપની એન્ટ્રી સાથે ભારતનું 100મું યુનિકોર્ન બન્યું છે. ભારતના 100માં યુનિકોર્નની જાહેરાત સાથે ઇકોસિસ્ટમ તરફથી ખૂબજ સકારાત્મક પ્રતિસાદો પ્રાપ્ત થયાં છે અને ઘણાંએ છેલ્લાં એક દાયકામાં સ્ટાર્ટ-અપ્સની ઉત્તમ કામગીરી તરફ ધ્યાન દોર્યું છે.
મહત્વપૂર્ણ છે કે 100 યુનિકોર્નનું કાઉન્ટડાઉન આ વર્ષે શરૂ થઇ ગયું હતું, પરંતુ યુક્રેન ઉપર રશિયાના આક્રમમણને કારણે 1 બિલિયન યુએસ ડોલરના વેલ્યુએશન હાંસલ કરવાની સ્ટાર્ટ-અપ્સની દોડ ધીમી પડી હતી. જોકે, અનિશ અચ્યુથાન અને તેમના પરિવારના સદસ્યો દ્વારા શરૂ કરાયેલા નિયોબેંકિંગ ફિનટેક યુનિકોર્ન ક્લબમાં સામેલ થયું છે. વર્ષ 2011માં મોબાઇલ એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ ઇનમોબી પ્રથમ યુનિકોર્ન હતું.
વર્ષ 2020થી જ ભારતીય સ્ટાર્ટઅપ્સે ઝડપી વૃદ્ધિ સાધી છે અને આ વૃદ્ધિ સાથે મોટી સંખ્યામાં વિદેશી અને પ્રાદેશિક રોકાણકારોએ તેમાં રોકાણ કર્યાં છે. સ્ટાર્ટ-અપ્સની કામગીરીથી ઉત્સાહિત સરકાર આગામી બે-ત્રણ વર્ષમાં 1,000 યુનિકોર્નનો ટાર્ગેટ રાખી રહી છે તથા મોટી સંખ્યામાં નવા યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ ભારતના અંતરિયાળ વિસ્તારોમાંથી ઉભરી આવવાનો તેમનો અંદાજ છે.

નાદારી કંપનીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સે રૂ. 2,300 કરોડ દાવ ઉપર લગાવ્યાં
હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સ પાસે ડિફોલ્ટ કંપનીઓમાં 8.7 ટકા હિસ્સો
ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (આઇબીસી) હેઠળ પ્રક્રિયાઓનો સામનો કરી રહેલી લિસ્ટેડ કંપનીઓમાં રિટેઇલ રોકાણકારોએ રૂ. 2,296 કરોડ દાવ ઉપર લગાવ્યાં છે. આ પ્રકારની કંપનીમાં 16,163 રિટેઇલ શેરધારકો છે કે જેમણે કંપની પુનર્જીવિત થશે અને સારું વળતર પ્રાપ્ત થવાની આશાએ હિસ્સો ખરીદ્યો છે. તેઓ કુલ હિસ્સાનો પાંચમો ભાગ ધરાવે છે. આ વિશ્લેષણમાં 75 લિસ્ટેડ કંપનીઓને ધ્યાનમાં લેવામાં આવી છે કે જેમના શેરહોલ્ડિંગના માર્ચ માટેના ડેટા ઉપલબ્ધ હતાં. માર્ચ મૂજબ તેમું માર્કેટ કેપિટલાઇઝેશન (એમ-કેપ) પણ ધ્યાનમાં લેવાયું હતું. જ્યાં એમ-કેપ ઉપલબ્ધ ન હતું, તેમાં છેલ્લી ટ્રેડેડ વેલ્યુને ધ્યાનમાં લેવાઇ છે.
ઉલ્લેખનીય છે કે હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ દ્વારા કરાયેલા રોકાણ કરતાં રિટેઇલ રોકાણકારોએ બમણા નાણા લગાવ્યાં છે. તેઓ આ પ્રક્રિયાનો સામનો કરતી કંપનીઓમાં 8.7 ટકા હિસ્સો ધરાવે છે. મીડિયન રિટેઇલ સ્ટેક 22.9 ટકા છે. નાના કંપનીઓમાં લગાવેલા નાણાનું પ્રમાણ વધુ છે. જાણકારોનું માનવું છે કે ઘણીવાર રિટેઇલ રોકાણકારોનું માનવું છે કે ભવિષ્યમાં સંભવતઃ જંગી લાભ થવાની સંભાવના છે. જોકે, લિક્વિડેશનનો સામનો કરતી કંપનીઓમાં ઇક્વિટી શેરધારકોનો ક્લેમ સૌથી આખરી હોય છે. ઘણી કંપનીઓ નાદારીની પ્રક્રિયા બાદ સમગ્ર ઇક્વિટી વેલ્યુને રાઇટ ઓફ કરી નાખે છે. તેનો મતલબ આ પ્રકારની સ્થિતિમાં કોઇપણ શેરહોલ્ડિંગનું મૂલ્ય શુન્ય થઇ જાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડિસેમ્બર 2021ના ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ મૂજબ ધિરાણકર્તાઓ રિઝોલ્યુશન બાદ ચોથાથી પણ ઓછો હિસ્સો પાછો મેળવી શક્યા છે.
આ પહેલાં સ્ટોક એક્સચેન્જીસે રિટેઇલ રોકાણકારોને નાદારીની પ્રક્રિયાનો સામનો કરતી કંપનીઓના શેર્સમાં ટ્રેડિંગ કરતી વખતે તેના વિશે જાણકારી રહે તે માટે સ્પેશિયલ એલર્ટ્સની પણ જાહેરાત કરી હતી. માર્ચ સુધીમાં આઇબીસીની અપડેટ મૂજબ ડિસેમ્બર 2021માં 1,514 કેસની સામે માત્ર 457 કેસના જ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળી છે.


LICએ 70 ટકાથી વધુ એન્કર એલોટમેન્ટ સ્થાનિક MFsને કર્યું
કંપનીએ એન્કર બુકમાં રૂ. 5627 કરોડ ઊભા કર્યાં
વિદેશી ફંડ્સે માત્ર રૂ. 1624 કરોડનું રોકાણ કર્યું

બુધવારે માર્કેટમાં મેગા આઈપીઓ સાથે પ્રવેશી રહેલી લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એલઆઈસી)એ તેની એન્કર બુકમાં રૂ. 5627 કરોડ ઊભા કર્યાં હતાં. જેમાં 71 ટકા નાણા સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સ તરફથી આવ્યાં હતાં એમ કંપનીએ ડિસ્ક્લોઝરમાં જણાવ્યું છે. જાયન્ટ વીમા કંપનીએ 123 રોકાણકારોને લગભગ 5.93 કરોડ શેર્સની ફાળવણી કરી હતી. તેણે રૂ. 949 પ્રતિ શેરના ભાવે આ શેર વેચ્યાં હતાં.
એન્કર ઈન્વેસ્ટર્સને કરવામાં આવેલા 5,92,96,853 ઈક્વિટી શેર્સમાંથી 4,21,73,610 ઈક્વિટી શેર્સ શેર્સ 15 જેટલા સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સને ફાળવવામાં આવ્યાં હતાં. જે કુલ એન્કર બુકનો 71 ટકા હિસ્સો ધરાવે છે. મ્યુચ્યુલ ફંડ્સને વિવિધ 99 જેટલી સ્કિમ્સ મારફતે આ ફાળવણી કરવામાં આવી હતી. દેશમાં સૌથી મોટું એયૂએમ ધરાવતાં એસબીઆઈ મ્યુચ્યુલ ફંડે વિવિધ સ્કિમ્સ મારફતે રૂ. 1000 કરોડથી વધુના શેર્સ સબસ્ક્રાઈબ કર્યાં હતાં. જ્યારે આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ એમએફે અડધો ડઝન સ્કીમ્સ મારફતે રૂ. 700 કરોડના મૂલ્યના શેર્સ ખરીદ્યાં હતાં. એચડીએફસી એમએફે 10 સ્કીમ્સ મારફતે રૂ. 650 કરોડના શેર્સ ખરીદ્યાં હતાં. જ્યારે આદિત્ય બિરલા સન લાઈફ એમએફ અને એસ્કિસ એમએફે પણ નોંધપાત્ર રકમના શેર્સ ખરીદ્યાં હતાં. વિદેશી ફંડ્સમાં સિંગાપુર સરકારના સોવરિન વેલ્થ ફંડ જીઆઈસીએ રૂ. 400 કરોડથી વધુના શેર્સ ખરીદ્યાં હતાં. તેણે કુલ ત્રણ સ્કીમ્સ મારફતે આ શેર્સ મેળવ્યાં હતાં. બીએનપી ઈન્વેસ્ટમેન્ટ્સે રૂ. 450 કરોડના શેર્સ ખરીદ્યાં હતાં. વિદેશી ફંડ્સ તરફથી રૂ. 1600 કરોડથી સહેજ વધુ રકમ ઊભી કરવામાં આવી હતી. વિદેશી ફંડ્સ તરફથી નીચી માગનું કારણ એફપીઆઈમાં જોવા મળી રહેલું જોખમ ટાળવાનું વલણ છે. એનએસડીએલ તરફતી પ્રાપ્ત આંકડા મુજબ વિદેશી રોકાણકારોએ ચાલુ વર્ષે ઈક્વિટી માર્કેટમાં કુલ રૂ. 1.3 લાખ કરોડ અથવા 17.3 અબજ ડોલરનું વેચાણ નોંધાવ્યું છે. એલઆઈસીના લાભ માટે માર્કેટ રેગ્યુલેટર સેબીએ મોટા આઈપીઓના કિસ્સામાં એન્કર ઈન્વેસ્ટર્સ માટેનો લોક-ઈન-પિરિયડનો સમયગાળો 90 દિવસ કરવાના તેના અગાઉના નિર્ણયને 1 જુલાઈ સુધી પરત ઠેલ્યો હતો. એન્કર કેટેગરી હેઠળ એલઆઈસીના શેર્સ ખરીદનાર રોકાણકારોએ માત્ર 30 દિવસ માટે લોક-ઈન પિરિયડનું પાલન કરવાનું રહેશે. એલઆઈસીનો આઈપીઓ બુધવાર 4 મેથી લઈ 9 મે સુધી ખૂલ્લો રહેશે. એન્કર બુક બાદ આઈપીઓએ હજુ રૂ. 15 હજાર કરોડ ઊભા કરવાના રહેશે. આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ માટે રૂ. 8500 કરોડના મૂલ્યના શેર્સ અનામત રાખવામાં આવ્યાં છે. જેમાં પોલિસીધારક તથા કર્મચારીઓના હિસ્સાનો સમાવેશ પણ થાય છે.


કોર્પોરેટ હેડલાઈન્સ
શ્રીરામ સિટી યુનિયનઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 324.18 કરોડનો નફો રળ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 295 કરોડ પર હતો. જ્યારે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 311 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1850.39 કરોડ પરથી વધી રૂ. 1901.22 કરોડ પર રહી હતી. કંપનીએ રૂ. 48.80ની ઈપીએસ નોંધાવી હતી.
સ્ટાર હેલ્થઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 82.04 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 578.37 કરોડની સરખામણીમાં નોંધપાત્ર સુધારો સૂચવે છે. કંપનીની આવક માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2740.38 કરોડના સ્તરે જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2618.42 કરોડ પર હતી.
જસ્ટ ડાયલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 22.05 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 34 ટકા ઘટાડો સૂચવે છે. જ્યારે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 19.39 કરોડના નફા સામે વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 187.44 કરોડના સ્તરેથી વધી રૂ. 201.90 કરોડ પર જવા મળી હતી.
થાયરોકેરઃ ડાયગ્નોસ્ટીક કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 21.24 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 44 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 118.80 કરોડ પરથી વધી રૂ. 132.71 કરોડ પર જોવા મળી હતી.
ઝાયડસ લાઈફસાઈન્સિઝઃ કંપનીએ બોર્ટેઝોમિબ ઈન્જેક્શન માટે યુએસએફડીએની આખરી મંજૂરી મેળવી છે. આ ઈન્જેક્શનનો ઉપયોગ કેટલાક પ્રકારના કેન્સર માટે થાય છે. આ ડ્રગનું ઉત્પાદન ઝાયડર હોસ્પિરા કરશે.
સોલાર ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 167.89 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 102.09 કરોડ પર હતો. કંપનીની આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1024.94 કરોડ પરથી વધી રૂ. 1317.62 કરોડ પર જોવા મળી હતી. કંપનીએ રૂ. 18.55ની ઈપીએસ દર્શાવી હતી.
ગોદરેજ પ્રોપર્ટીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 260.47 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 39.02 કરોડ પર હતો. કંપનીની આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 466.91 કરડ સામે ઉછળી રૂ. 1522.57 કરોડ પર જોવા મળી હતી.
એમએન્ડએમફાઈનાન્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 623.78 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 987 કરોડ પર હતો. કંપનીની આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2985.65 કરોડની સરખામણીમાં રૂ. 2897.44 કરોડ પર જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage