Market Summary 4 August 2021

માર્કેટ સમરી

સતત બીજા દિવસે નવી ઊંચાઈ દર્શાવવામાં માર્કેટ સફળ

મંગળવારે 16000ના સ્તરને પાર કર્યાં બાદ શોર્ટ કવરિંગ પાછળ ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી 16259ની તેની નવી ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સે પણ 54 હજારના લેન્ડમાર્કને પાર કર્યું હતું. બજારને બેંક નિફ્ટીનો મહત્વનો સપોર્ટ મળ્યો હતો અને તે 2.33 ટકાના સુધારે 36028ના સ્તર પર બંધ રહ્યો હતો. જોકે બીજી બાજુ 70 ટકા બજાર નરમાઈ દર્શાવતું હતું અને મીડ તથા સ્મોલ-કેપ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. માર્કેટ-બ્રેડ્થ ખૂબ જ નરમ રહી હતી.

વોડાફોન આઈડિયાનો શેર 19 ટકા તૂટી વર્ષના તળિયે

ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર વોડાફોન આઈડિયાના શેરમાં બીજા દિવસે વેચવાલી જળવાય હતી. કંપનીનો શેર 18.92 ટકા ગગડી રૂ. 6ના સ્તરે બંધ રહ્યો હતો. જે મે 2020 પછીનું તળિયું છે. સોમવારે કંપનીના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ તેઓ કંપનીને બચાવવા માટે પોતાનો હિસ્સો વેચવા તૈયાર છે તે પ્રકારે સરકારને લખેલા પત્રની વિગતો બહાર આવ્યાં બાદના બે સત્રોમાં વોડાફોન આઈડિયાનો શેર તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યો છે. બુધવારે પણ તેણે દ્વિઅંકી ઘટાડો દર્શાવ્યો હતો. રૂ. 13.80ની 52-સપ્તાહની ટોચ સામે તે 50 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો છે. કંપનીનું માર્કેટ-કેપ ગગડીને રૂ. 17241 કરોડ પર આવી ગયું છે.

કરન્ટ એકાઉન્ટસ સંબંધી નવા રુલ્સ માટેની ડેડલાઈન લંબાવતી RBI

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કરન્ટ એકાઉન્ટ સર્ક્યુલટને અમલ કરવા માટેની ડેડલાઈનને 31 ઓક્ટોબર 2021 સુધી લંબાવી દીધી છે. મધ્યસ્થ બેંક જણાવ્યું છે કે બેંક્સ આ લંબાવેલી ડેડલાઈનનો ઉપયોગ તેમના બોરોઅર્સ સાથે મળીને સર્ક્યુલરની મર્યાદામાં રહી પરસ્પર સંતોષકારક સોલ્યુશન લાવી શકે છે. બેંક્સ જે મુદ્દાઓને લઈને પોતે ઉપાય શોધી શકે તેમ ના હોય તેવા કિસ્સામાં તે ઈન્ડિયન બેંક્સ એસોસિએશન(આઈબીએ)નું માર્ગદર્શન પણ લઈ શકે છે.

રાકેશ ઝૂનઝૂનવાલા પ્રમોટેડ આકાશ એરને NOC મળ્યું

જાણીતા શેરબજાર રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલા પ્રમોટેડ લો-કોસ્ટ એરલાઈન આકાશ એરને કેન્દ્રિય ઉડ્ડયન વિભાગે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ ફાળવ્યું હોવાના અહેવાલ છે. કંપની કેલેન્ડર 2021ની આખરમાં તેની કામગીરી શરૂ કરે તેવી અપેક્ષા છે. રિપોર્ટના જણાવ્યા મુજબ આકાશ એર સાંકડી બોડી ધરાવતાં એરક્રાફ્ટની ખરીદી કરશે. તેઓ બોઈંગ પાસેથી વિમાન ખરીદે તેવી શક્યતા છે. એકવાર વિમાનની ખરીદી થઈ જશે ત્યારબાદ તેઓ એર ઓપરેટર પરમિટ મેળવે તેવી અપેક્ષા છે. આકાશ એરમાં ઝૂનઝૂનવાલા 40 ટકા નજીક હિસ્સો ધરાવશે. જે માટે તેઓ 3.5 કરોડ ડોલરનું રોકાણ કરશે. અગાઉ ઝૂનઝૂનવાલાએ જણાવ્યું હતું કે તેઓ ચાર વર્ષોમાં 70 વિમાનો ખરીદવાનું આયોજન ધરાવે છે. અગાઉ ઈન્ડિગોના પ્રેસિડેન્ટ તરીકે કામગીરી બજાવનાર આદિત્ય ઘોષ આકાશના કો-ફાઉન્ડર હશે. ભૂતપૂર્વ જેટ એરવેઝ સીઈઓ વિનય દૂબે પણ કંપનીના પ્રમોટરમાં હશે.

સોનુ રૂ. 48 હજાર અને ચાંદીએ રૂ. 68 હજાર પાર કર્યાં

વૈશ્વિક બજારોમાં ડોલરમાં નરમાઈ વચ્ચે કિંમતી ધાતુઓમાં મજબૂતી જોવા મળી હતી. બુધવારે એમસીએક્સ ખાતે ગોલ્ડ ઓગસ્ટ વાયદો 0.60 ટકા અથવા રૂ. 290ના સુધારે રૂ. 48100ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં તે 1820 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદી પણ 0.62 ટકા અથવા રૂ. 422ના સુધારે રૂ. 68336ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. બંને ધાતુઓએ ગયા સપ્તાહની શરૂમાં પણ સુધારો દર્શાવ્યો હતો અને પાછળથી નરમાઈ દર્શાવી હતી. જોકે તાજેતરમાં વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં જોવા મળી રહેલી નરમાઈ પાછળ સોનુ મજબૂતી દર્શાવે તેવું એનાલિસ્ટ્સ માની રહ્યાં છે. કોમેક્સ ખાતે તે 1830 ડોલરની સપાટી પાર કરશે તો ઝડપી સુધારો દર્શાવે તેવી શક્યતા છે.



પસંદગીના લાર્જ-કેપ્સ સિવાય મીડ-સ્મોલ કેપ્સમાં બાસ્કેટ સેલીંગ

ટ્રેડર્સે મીડ અને સ્મોલમાં પ્રોફિટ બુક કરી લાર્જ-કેપ્સ પર ફોકર કરવાની સલાહ

નિફ્ટી-500 જૂથમાં 500માંથી 370 કાઉન્ટર્સમાં ઘટાડો નોંધાયો

બીએસઈ ખાતે 3344 કાઉન્ટર્સમાંથી 2129 અગાઉના બંધ સામે નરમ બંધ રહ્યાં

મીડ અને સ્મોલ-કેપ સૂચકાંકોમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો



સેન્સેક્સમાં સતત બીજા દિવસે એક ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. જોકે બ્રોડ માર્કેટ નોંધપાત્ર સમયગાળા બાદ બે ભાગમાં વહેંચાયેલું જોવા મળ્યું હતું. જેમાં પસંદગીના શેર્સ પાછળ બેન્ચમાર્ક્સમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે મીડ અને સ્મોલ-કેપ્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને માર્કેટ-બ્રેડ્થ નોંધપાત્ર નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે બે શેર્સમાં ઘટાડા સામે એક શેર્સમાં સુધારો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો એક ટકાથી વધુના ઘટાડે બંધ રહ્યાં હતાં.

બુધવારે પણ ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ બાદ સુધારો જાળવ્યો હતો અને દિવસ દરમિયાન તે પોઝીટીવ ઝોનમાં જ ટ્રેડ થયું હતું. જોકે બીજી બાજુ મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટ્સમાં શરૂઆતી પોઝીટીવ ટ્રેડ બાદ વેચવાલી શરૂ થઈ હતી અને તે દિવસ દરમિયાન જળવાય હતી. બજારમાં બ્રેકઆઉટના ઉન્માદમાં ટ્રેડર્સને શરુઆતી સમયગાળામાં આ વાતનો ખ્યાલ આવ્યો નહોતો. જોકે મધ્યાહન સુધીમાં ગણ્યા-ગાંઠ્યા કાઉન્ટર્સને બાદ કરતાં મોટાભાગનું બજાર રેડ-રેડ જોવા મળતું હતું. જેણે ડે-ટ્રેડર્સને ચિંતામાં મૂક્યાં હતાં. મોટાભાગના કાઉન્ટર્સ 3-5 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. આમ નુકસાની બુક કર્યાં વિના છૂટકો નહોતો. એનએસઈ-500 જૂથમાં સમાવિષ્ટ 500માંથી 370 કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 130 કાઉન્ટર્સ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ 100 જૂથમાંથી 26 કાઉન્ટર્સ જ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 74 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જેની પાછળ બેન્ચમાર્ક પણ 1.1 ટકા ઘટી બંધ રહ્યો હતો. આ જ રીતે નિફ્ટી સ્મોલ-કેપ 100 જૂથમાં 21 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. જ્યારે 79 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. સ્મોલ-કેપ સૂચકાંક પણ 1.1 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. બીએસઈની વાત કરીએ તો કુલ 3344 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1094 પોઝીટીવ રહ્યાં હતાં. જ્યારે 2129 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધની સરખામણીમાં નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. આનાથી પણ એક વધુ મહત્વનું ઓબ્ઝર્વેશન એ છે કે બીએસઈ ખાતે 344 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 333 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. સામાન્યરીતે છેલ્લા છથી આંઠ મહિનાથી બજાર મીડ અને સ્મોલ-કેપ્સમાં એકધારી તેજીને કારણે ઉપલી સર્કિટમાં બંધ રહેનાર શેર્સનું પ્રમાણ ખૂબ ઊંચું જોવા મળતું હતું. જ્યારે બુધવારે આ રેશિયો સમાન જોવા મળ્યો હતો.

માર્કેટ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીની આડશમાં મોટા માથાઓ બ્રોડ માર્કેટમાં પ્રોફિટ બુકીંગ કરી રહ્યાં છે અને તેથી હવેનો સમય માત્ર લાર્જ-કેપ્સ પર ફોકસ કરવાનો રહેશે. રોકાણકારોએ મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પ્રોફિટ બુક કરવાનો રહેશે. કેમકે ત્યાં વેલ્યૂએશન્સ મોંઘા બન્યાં છે અને એક ટેકનિકલ કરેક્શનની જગા પણ જણાય રહી છે. લાર્જ-કેપ્સ કાઉન્ટર્સ લાંબા સમયથી કોન્સોલિડેશનમાં જોવા મળ્યાં હતાં અને નિફ્ટીમાં બ્રેકઆઉટ બાદ તેઓ શોર્ટ કવરિંગ પાછળ વધુ સુધારો દર્શાવતાં જોવાશે. ટ્રેડર્સે મીડ-કેપ્સમાંથી તેમના નાણાને લાર્જ-કેપ્સમાં શિફ્ટ કરવાની સલાહ પણ તેઓ આપે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage